રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ ગાઇડલાઇન કરી જાહેર

By: Nation Gujarat Team
06 Aug, 2026

રાજ્યમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી વાયરસથી 22 બાળકોના મોત થઈ ચુક્યા છે..જ્યારે હાલ પણ 35 જેટલા પોઝિટીવ કેસ છે. ચાંદીપુરાના વધતા પ્રકોપને લઈ ICMRએ  પણ એક માર્ગદર્શિકા
જાહેર કરી છે..જેમાં અસરગ્રસ્ત વિસ્તારમાં બાળકને તાવ કે અન્ય કોઈ પણ લક્ષ્ણ જોવા મળે તો જ્યાં ચાંદીપુરા વાયરસનો ટેસ્ટ થતો હોય ત્યાં તુરંત લઈ જઈ આરટીપીસીઆર ટેસ્ટ જ કરાવાની સલાહ આપી છે. તો આ તરફ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસને અટકાવવા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયએ નેશનલ જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ મોકલી છે. જે ચાંદીપુરા વાયરસને લઈ વ્યાપક વૈજ્ઞાનિક તપાસ કરશે.નેશનલ સેન્ટર ફોર ડિઝીસ કંટ્રોલ, ઈન્ડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચના ઉચ્ચ નિષ્ણાંતો પણ આ ટીમમાં સામેલ છે.આ નિષ્ણાંતો રોગચાળાની તપાસ, ક્લિનિકલ મેનેજમેન્ટ, લેબોરેટરી કોઓર્ડિનેશન, વેક્ટર સર્વેલન્સ અને જાહેર આરોગ્યના પગલા અમલમમાં મુકવા માટે રાજ્ય સરકારના પ્રયાસોને સહયોગ આપશે.સાથે જ જમીની સ્થિતિની સમીક્ષા કરી તેનું ક્ષેત્રીય મૂલ્યાંકન પૂરું કર્યા બાદ કેન્દ્રીય મંત્રાલયને જરૂરી ભલામણો સુપ્રત કરશે.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય નામની નાની માખીના કરડવાથી ફેલાય છે. કાચા મકાનો અને ભેજવાળા વિસ્તારોમાં આ માખીનું પ્રમાણ વધુ જોવા મળતું હોવાથી આવા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. વાલીઓને બાળકોમાં તાવ, બેભાન થવું, ખેંચ આવવી અથવા અન્ય ગંભીર લક્ષણો દેખાય તો તરત હોસ્પિટલમાં લઈ જવા અપીલ કરવામાં આવી છે.

ચાંદીપુરા વાયરસ (Chandipura Virus) એક દુર્લભ પરંતુ ગંભીર વાયરસજન્ય ચેપ છે, જે મુખ્યત્વે બાળકોને અસર કરે છે અને મગજમાં સોજો (એન્સેફેલાઇટિસ) પેદા કરી શકે છે.

ચાંદીપુરા વાયરસના મુખ્ય લક્ષણો

  1. અચાનક તાવ આવવો.
  2. સતત અને તીવ્ર માથાનો દુખાવો.
  3. વારંવાર ઊલટી થવી.
  4. શરીરમાં નબળાઈ અને સુસ્તી અનુભવવી.
  5. બેહોશી અથવા ગૂંચવણ જેવી સ્થિતિ થવી.
  6. આંચકી (Fits/Seizures) આવવી.
  7. બોલવામાં અથવા ચાલવામાં તકલીફ થવી.
  8. હાથ-પગમાં ઝટકા અથવા ખેંચાણ આવવું.
  9. બેભાન થવાની સ્થિતિ અથવા કોમામાં જવાની શક્યતા.
  10. ગંભીર કિસ્સાઓમાં શ્વાસ લેવામાં તકલીફ અથવા ઝડપથી તબિયત બગડવી.

ક્યારે તરત ડૉક્ટરનો સંપર્ક કરવો?

જો ખાસ કરીને બાળકને તાવ સાથે ઊલટી, આંચકી, વધુ ઊંઘ આવવી, ગૂંચવણ, બેભાન થવું અથવા વર્તનમાં અચાનક ફેરફાર જેવા લક્ષણો દેખાય, તો તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવું જોઈએ. આ વાયરસમાં વહેલી સારવાર ખૂબ મહત્વપૂર્ણ છે.


Related Posts

Load more